મોરબીને ૨૦૨૨ સુધીમાં મળી રહેશે એરપોર્ટ!!

0
141
/
  • રાજપર પાસેની જમીનનો કબજો ઉડ્ડયન મંત્રાલયે સંભાળ્યો: ટૂંક સમયમાં જમીન સમથળની કાર્યવાહી હાથ ધરાશે
  • એરપોર્ટની કમ્પાઉન્ડ વોલ, દોઢ કિ.મી.ના રન-વેની તૈયારી માટે અધિકારીઓએ કર્યું સ્થળ નિરીક્ષણ

હાલ ઔદ્યોગિક વિકાસ થકી વિશ્વમાં અલગ ઓળખ ઉભી કરનાર મોરબીવાસીઓને બિઝનેસ અને વિદેશ પ્રવાસ માટે વિમાની મુસાફરી માટે વર્ષોથી રાજકોટ અને અમદાવાદ સુધી લંબાવુ પડે છે.જેથી વર્ષોથી મોરબીની એરપોર્ટ ફાળવવામાં આવે તેવી માંગણીઓ થતી રહી છે. મોરબીના રાજવી પરિવારે આઝાદી પૂર્વે અહીં એરોડ્રામ વિકાસાવી આધુનિક સુવિધાઓની ભેટ આપી હતી. જો કે આ ભેટ સરકાર સાચવી શકી ન હતી. ફરીથી અહીં એરપોર્ટ બની શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ રહેલી છે.

જે કારણે મોરબીના રાજકીય સામાજિક આગેવાનો દ્વારા સમયાંતરે મોરબીની એરપોર્ટ આપવા માગણી કરવામાં આવી હતી. આ અંગેની પ્રથમ આશા જ્યારે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે જાગી હતી, તેઓની રાજ્ય સરકાર દ્વારા મોરબીની એરપોર્ટ આપવા જાહેરાત પણ કરી હતી.લાંબા સમય સુધી તેમાં કોઈ અમલવારી ન થયા બાદ હવે કેન્દ્રમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર છે અને તેઓના ઉડાન યોજના હેઠળ દેશને વિમાની નેટવર્ક સાથે જોડાવા કામગીરી કરી રહી છે ત્યારે મોરબીને પણ એરપોર્ટ મળશે એ આશા પણ વધુ મજબૂત બની છે

આગામી દોઢથી બે વર્ષ ના સમય સુધીમાં અહીં ડોમેસ્ટિક એરપોર્ટ તૈયાર થઇ જશે તેવી સંભાવના પ્રબળ બની છે. જિલ્લા કલેકટર દ્વારા રાજપર પાસેની એરોડ્રામની જગ્યા ફાળવી દેવાયા બાદ હવે ભારત સરકારના એવિએશન ડિપાર્ટમેન્ટ એટલે કે નાગરિક ઉડ્ડયન વિભાગે તેનો કબજો પણ સંભાળી લીધો છે.

આ જગ્યા પર હાલમાં એવિએશન ડિપાર્ટમેન્ટના સુપ્રિન્ટેન્ડેન્ટ ઈજનેર પીરજાદા,અને જમીન સંપાદન અધિકારી સમીર ભૂંડેલાએ મુલાકાત લીધી હતી અને સ્થળ નિરીક્ષણ કરી એરપોર્ટ અંગેની સ્થળ ચકાસણી કરી હતી. તેમની સાથે મોરબી માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ આદ્રોજા અને તાલુકા પંચાયત સદસ્ય વિજય કોટડીયા સહિતના જોડાયા હતા. આગામી દિવસોમાં એવિએશન દ્વારા આ જગ્યાની ફરતે કમ્પાઉન્ડ વોલ તેમજ જમીન સમથળ કરવાની કામગીરી હાથ ધરવા ડીએન્ડ એલ આર અને માર્ગ મકાન વિભાગ ને અંગે લેખિત સૂચના આપશે જે બાદ આ બન્ને કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

હિરાસર તૈયાર થાય પછી ફ્લાઇટની સંખ્યા નક્કી થશે આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ નજીક તૈયાર થઇ રહેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હીરાસર એરપોર્ટ તૈયાર થઇ જાય અને ત્યાંથી કેટલી ફ્લાઇટની આવનજાવન થાય છે તેના પરથી મોરબી આવતી અને જતી ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા અને ક્યાં, ક્યાં જવા માટે વિમાની સેવા મળશે તે બાબતનો ખ્યાલ પણ આવશે.

સરકારે આ પ્રોજેક્ટ માટે ૪૦ કરોડ મંજૂર કર્યા હતા મોરબી શહેરના રાજપર એરોડ્રામ સ્થિત જગ્યા પર નવું એરપોર્ટ શરૂ કરવા માટે કમ્પાઉન્ડ વોલ,દોઢ કિમીનો રનવે સહિતની પ્રાથમિક કામગીરી માટે રાજય સરકારે રૂ.૪૦ કરોડ મંજૂર કર્યા હતા. અહીં એરપોર્ટ માટેની જમીન તો તૈયાર જ છે, સમથળ બનાવવા અને થોડી ઘણી જમીનના સંપાદનનું જ કામ બાકી છે. સંપાદનનું કામ 6 માસમાં પુરું થઇ જશે અને સમથળ બનાવવાનું પણ. ૨૦૨૨ ના અંત સુધીમાં આ એરપોર્ટ ફ્લાઇટના લેન્ડિંગ અને ટેકઓફ માટે તૈયાર થઇ જશે અને અહીંના ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકોને વિમાની સુવિધાનો પણ ઘરઆંગણે લાભ મળશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/