મોરબીના રાજપર ગામે ‘મોત’ ના ખાડા : દુર્ઘટના સર્જાય તેવું જોખમ: આવેદનપત્ર આપાયું

0
99
/
તંત્રના પાપે ગતરાત્રે પાણી ભરાયેલા ખાડામાં બાઇક ચાલક ફસાઈ જતા સ્થાનિકોમાં ભારે રોષ : ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને કલેકટરને આવેદન આપી રોડનું યોગ્ય રીપેરીંગ કરવાની માંગ કરી

મોરબી : મોરબીના રાજપર ગામના રોડ પર પડેલા ખાડાઓ જોખમી બની ગયા છે. ગત રાત્રે એક બાઇક ચાલક બાઇક સાથે પાણી ભરેલા ખાડામાં ખાબક્યો હતો. રોડ ઉપર વરસાદી પાણી ભરેલા હોય અને ખાડા ન દેખાતા બાઇકચાલક બાઇક સાથે ખાડામાં ખુંપી ગયો હતો. જોકે સદનસીબે બાઇક ચાલકને ઇજા થઇ ન હતી. બાદમાં સ્થાનિકોએ મહામહેનતે બાઇક ચાલકને ખાડામાંથી બહાર કાઢ્યો હતો. જોકે તંત્રના પાપે રોડ પરના ખાડા જોખમી બનતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મોરબીના શનાળા ગામથી રાજપર ગામને જોડતો આશરે 5 કિમિનો માર્ગ ઘણા સમયથી ખરાબ હાલતમાં છે. આખો રોડ ખાડાના અખાડામાં ફેરવાય જતા હાલ વરસાદમાં આ રોડની પથારી ફરી ગઈ છે. રોડ ઉપર એટલી હદે ખાડા પડયા છે કે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા તેવી આ રોડની દુર્દશા થઈ ગઈ છે. હાલ વરસાદમાં રોડમાં ખાડામાં પાણી ભરાયેલા હોય દૂરથી રોડ ઉપર પાણી જ દેખાતા વાહન ચાલકો પોતાની રીતે જ વાહન ચલાવતા હોય ખાડામાં વાહન ખાબકે છે. ગતરાત્રીના સમયે એક બાઇક ચાલક ખાડામાં ફસાયા બાદ આ ખાડાઓ વધુ જોખમી થવાથી ગ્રામજનોએ આજે રોડ પ્રશ્ને જિલ્લા પંચાયત અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે શકત શનાળા ગામથી રાજપર સુધીનો રસ્તો કે જેનું કામ હાલમાં ચાલુ છે અને ફકત ઉપર ડામરથી મઢવાનો જ બાકી છે. ત્યાં જ આવા ઓછા વરસાદમાં સમગ્ર રસ્તા પર મસમોટા ખાડા થયેલ અને વાહન ચલાવવુ તો દુર ત્યા ચાલવું પણ મુશ્કેલ થઇ ગયેલ છે. આ રસ્તા પર વાહનોની અવર-જવર ખુબ જ મોટા પ્રમાણમાં થતી હોવાથી અકસ્માતનો મોટો ભય છે. કોઇનો જીવ ગુમાવવાનો વારો આવે તે પહેલા શકત શનાળા ગામથી રાજપર સુધીના રોડ પર તાત્કાલીકના ધોરણે ખાડા બુરવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/