મોરબીના તમામ સ્મશાનો-કબ્રસ્તાનમાં મૃતદેહોની અંતિમવિધિ માટે પણ જોવાતી રાહ

0
148
/

અગાઉની સરખામણીએ અંતિમવિધિ માટે વધુ આવતા મૃતદેહો પરિસ્થિતિની ભયવહક્તાનો બોલતો પુરાવો

મોરબી : મોરબીમાં કોરોનાએ જીવિત વ્યક્તિઓને લાઈનમાં લગાવ્યા બાદ હવે અંતિમવિધિમાં પણ સ્મશાન અને કબ્રસ્તાનમાં લાઈનો લાગી છે. આ અત્યંત ગંભીર બાબત સરકાર માટે શરમજનક છે. દેશ માટે શરમજનક છે. સ્થાનિક તંત્ર માટે શરમજનક છે. મોરબીના સ્મશાનો અને કબ્રસ્તાનોની ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ દ્વારા વાસ્તવિકતા તપાસતા દુઃખદ પરીસ્થિતિ સામે આવી છે.

મોરબીમાં હાલ મહામારીનો ભયાવહ ચહેરો સામે આવ્યો છે ત્યારે લીલાપર રોડ પર સ્થિત વિદ્યુત-ગેસ સ્મશાન ખાતે જાણવા મળ્યા મુજબ એકથી દસ તારીખ સુધીમાં આશરે 100 મૃતદેહોને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અહીં એક ગેસ ભઠ્ઠી માત્ર કોવિડ સંક્રમિત દર્દીઓના થયેલા અવસાન માટે જ અલાયદી રાખવામાં આવી છે. બન્ને ભઠ્ઠીમાં થઈને રોજ સરેરાશ 15થી 17 મૃતદેહોને અંતિમ મંજિલ સુધી પહોંચાડવામાં આવે છે.

જ્યારે સુન્ની કબ્રસ્તાનમાં સેવારત ફારૂખ કલાડીયાએ જણાવ્યું હતું કે, એક મૈયતની દફનવિધિ પુરી ન થઈ હોય ત્યાં અન્ય મૈયત માટે ફોન આવી જાય છે. આ કબ્રસ્તાનમાં કોવિડથી અવસાન થયેલા મર્હુમ માટે અલાયદી જગ્યા ફાળવવામાં આવી છે. છેલ્લા 4 દિવસોમાં અહીં 45થી વધુ મૈયત આવી ગઈ છે. મુસ્લિમ સમુદાયમાં મૈયતને વધુ સમય સુધી રાખી મુકવાને લઈને અશુભ માનવામાં આવે છે. પણ હાલની પરિસ્થિતિને કારણે મૈયતને થોડો સમય રાખી મુકવાની નોબત આવી છે. કબર ખોદવા માટે પર્યાપ્ત સમય મળે ન મળે ત્યાં અન્ય મૈયત આવી ગઈ હોવાનું ફારૂખભાઈએ જણાવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/