સિરામિક સિટી ગણાતા મોરબીની એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોવાની રાવ
મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા સિરામિક એસો.એ ચિંતા વ્યકત કરવાની સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જેમાં જિલ્લામાં કોરોના માટે ખાસ ખાનગી હોસ્પિટલ જાહેર કરવાની માંગ ઉઠાવી છે. સાથે રાવ પણ કરી છે કે મોરબીના દર્દીઓને છેક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવા જવું પડે છે.
મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક પણ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ ન હોવાથી અનેક દર્દીઓને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડતું હોય આ મામલે સિરામિક એસોસિએશને જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. જેમાં જણાવાયું છે કે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે અને તેને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવે. વધુમાં આ હોસ્પિટલમાં 25 બેડની વ્યવસ્થા કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
ગુજરાત ગેસને સીએસઆર ફંડમાંથી વેન્ટિલેટર ફાળવવાની પણ રજુઆત
સિરામિક એસોસિએશને ગુજરાત ગેસને રજુઆત કરી છે કે ગુજરાત ગેસ કંપની મોરબીમાંથી સારો એવો નફો કરે છે ત્યારે હવે મોરબીની જનતા માટે ગુજરાત ગેસને દાન દેવા માટેનો સમય આવ્યો છે તો ગુજરાત ગેસ દ્વારા સીએસઆર ફંડને હાલની કોરોનાની સ્થિતિમાં મોરબીમાં વાપરવામાં આવે તે ઇચ્છનીય છે. ગુજરાત ગેસ દ્વારા મોરબીમાં 8 થી 10 વેન્ટિલેટર ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગણી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide


















