રાત્રી કરફ્યુમાં એક કલાકનો ઘટાડો, હવે રાત્રે 10 સુધીની છૂટ : સિનેમાઘરો -ઓડિટોરિયમ પણ ખુલશે

0
108
/

હવે લગ્ન પ્રસંગમાં 100 લોકો ઉપસ્થિત રહી શકશે : સામાજિક- રાજકીય કાર્યક્રમ તથા ધાર્મિક સ્થાને 200 લોકોને છૂટ : નવા નિયમોની 26મીથી અમલવારી

મોરબી : હવે કોરોના હળવો થતા રાજ્ય સરકારે વધુ રાહત આપી છે. જેમાં મુખ્યત્વે કરફ્યુનો સમય એક કલાક ઘટાડવાની સાથે સિનેમા ઘરો અને ઓડિટોરિયમ ખોલવાની છૂટ આપી છે. આ સાથે લગ્ન પ્રસંગમાં 100 લોકોની તથા રાજકીય કાર્યક્રમ અને ધાર્મિક સ્થાને 200 લોકોની છૂટ આપી છે. આ નવા નિયમોની 26મીથી અમલવારી થનાર છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયો જાહેર કરાયા છે. જેમાં રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો છે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ ૧૮ શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. લગ્ન પ્રસંગમાં ૧૦૦ લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં ૪૦ લોકોને છૂટ અપાઇ છે. સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના ૫૦ ટકા અને મહત્તમ ૨૦૦ લોકો ઉપસ્થિત રહી શકશે.

વાંચનાલયોની ક્ષમતાના ૬૦ ટકાને મંજૂરી અપાઇ છે. GSRTCની બસોમાં ૭૫ ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ છે. પાર્ક-ગાર્ડન રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. કોર કમિટીની બેઠકમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/