મોરબીની જનરલ હોસ્પિટલની સારવારથી યુવકને મળી મોટી રાહત

0
73
/

મોરબી : કહેવાય છે કે ‘રામ રાખે, તેને કોણ ચાખે’. આ કહેવત મોરબીના યુવકને લાગુ પડે છે. મોરબીના એક યુવકને વાહન અકસ્માતમાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ઈલાજ કરાવ્યા બાદ વ્હીલચેરની સહાયતા લેવી પડતી હતી. ત્યારબાદ યુવકે મોરબીની જનરલ હોસ્પિટલની સારવાર લેવાનું શરૂ કરતાં તેની પરિસ્થિતિમાં સુધારો આવ્યો હતો. તેમજ હાલમાં તે પથારીવશ સ્થિતિમાંથી સ્વાવલંબી જીવન જીવી રહ્યા છે.

મોરબીમાં રવાપર રોડ ખાતે રહેતા શૈલેષભાઈ હીરાભાઈ જીલરીયા (ઉ.વ. 32)ને તા. 18/08/2016ના રોજ રાત્રીના સમયે મોરબીથી રાજકોટ જતી વખતે રતનપર ગામ પાસે તેમનો કાર અકસ્માત થયો હતો. ત્યારે 108 એબ્યુલન્સ દ્વારા તેમને તાત્કાલીક પ્રાઇમરી સારવાર આપી રાજકોટમાં પ્રથમ સ્ટર્લીંગ હોરિપટલમાં લઈ જવામાં આવ્યા પછી ત્યાથી તેમને વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ગોકુલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ હતા. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી અને હોસ્પિટલ દ્વારા C5-C6 Cervical spineની ગંભીર ઇજા વિશે તેમને જણાવવામાં આવ્યું હતું.

તે વખતે શૈલેષભાઇના બંને પગમાં કોઈપણ જાતની મુવમેન્ટ જણાતી નહોતી તથા બંને હાથમાં વિકનેસ જણાતી હતી. તે સમયે કુદરતી હાજત ઉપરનો કંટ્રોલ પણ જતો રહ્યો હતો. આ હોસ્પિટલમાં શૈલેષભાઇને લગભગ 10 દિવસ દાખલ રાખી સારવાર કરવામાં આવેલ હતી. આ પ્રકારની મણકાની ગંભીર ઇજા થતાં તેમને ડૉક્ટરે આજીવન વ્હીલચેર પર જ નિર્ભર રહેવું પડશે. તેમજ તેમનું સમગ્ર જીવન પરાવલંબી બની રહેશે તેવું જણાવવામાં આવેલ હતું. જેથી, તે સમયે તે પથારીવશ હોવાથી ખૂબ જ હતાશ થયેલ હતા. પછી તેમના ઘરે પ્રાઈવેટ ફીજીયોથેરાપીસ્ટને બોલાવી જરૂરી કસરત શરૂ કરવામાં આવી હતી. લગભગ 6 મહિના સુધી ઘરે ફીજીયોથેરાપી કરવામાં આવી હતી. જેનાથી તેમને આંશિક ફાયદો જણાયો હતો. જેમાં તે 2-3 વ્યક્તિના સહારે વ્હીલચેર પર બેસી શકતા થયા છે.

ત્યારબાદ શૈલેષભાઈએ ફીજીયોથેરાપી કરાવવા માટે તા. 16/05/2017ના રોજ મોરબીની જનરલ હોસ્પિટલ ખાતે ફીજીયોથેરાપી વિભાગમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં તેમની ફીજીયોથેરાપીની સારવાર ફીજીયોથેરાપી વિભાગના ઇન્ચાર્જ ડો. હાર્દીક રાવલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કોરોનાની મહામારી વચ્ચે પણ આજ દીન સુધી તેમને હોસ્પિટલના સ્ટાફ દ્વારા પૂરતા સહકાર સાથે ફીજીયોથેરાપીની સારવાર આપવામાં આવી હતી. હોસ્પિટલના ફીજીયોથેરાપી વિભાગના ડોક્ટરો તથા સ્ટાફની મહેનતથી તેઓ હાલમાં કોઈપણ જાતની સહાયતા વિના બેસી શકે છે, ઊભા રહી શકે છે, ચાલી શકે છે, ગાડી પણ ચલાવી શકે છે અને જાતે ખાઈ-પી શકે છે. જેનો શ્રેય શૈલેષભાઈએ જનરલ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફને આપ્યો હતા. તથા ફીજીયોથેરાપી વિભાગના ડોક્ટરો, સ્ટાફ અને જનરલ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/