રાજસતા અને ધર્મસતાના સમન્વય દ્વારા ભારત જલ્દીથી મહાસતા બનશે : સીએમ ભુપેન્દ્ર પટેલ

0
78
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરની મોરબીની ગોઝારી ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે વાવડી રોડના કબીરધામ ખાતે શરૂ થયેલી મોરારીબાપુની રામકથાના આજે બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી અને તેમણે કહ્યું હતું કે, રામના ખોળે જવું હોય તો બુદ્ધિને નિર્મળ બનાવી પડે અને બુદ્ધિને નિર્મળ બનાવવા માટે મોરારીબાપુની રામકથા સાંભળવી પડે. તેમજ ધર્મસતા અને રાજસતાનો આજે સમન્વય થયો હવે જલ્દીથી ભારત મહાસતા બનશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબી ખાતે પધાર્યા હતા. જ્યાં તેમણે કબીરધામ, નાની વાવડી ખાતે ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોના મોક્ષાર્થે મોરારી બાપુના કંઠે આયોજિત રામકથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યું હતું. માનસ શ્રદ્ધાંજલિ કથાના પ્રસંગે મુખ્યમંત્રીએ ઝૂલતો પુલ દુર્ઘટનાના દિવાંગતોને શ્રદ્ધા સુમન અર્પણ કરતા જણાવ્યું હતું કે, એ દુર્ઘટનાના દિવંગતોની મોક્ષ પ્રાપ્તિ માટે આ માનસ શ્રદ્ધાંજલિ કથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમની મોક્ષ પ્રાપ્તિ માટે હું પણ પ્રાર્થના કરું છું. મોરારીબાપુની ૯૨૪ મી રામ કથા શ્રવણ કરવાનો મને મોકો મળ્યો તે માટે હું ધન્યતા અનુભવ છું. સત્ય પ્રેમ કરુણા અને રામ નામ થકી સૌનું જીવન સાર્થક બને તેવી પણ પ્રાર્થના કરું છું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે જ્યારે રાજ સત્તા અને ધર્મ સત્તાનો સંગમ થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું જે સ્વપ્ન સેવ્યું છે સ્વપ્ન સાર્થક બને અને ભારત વિશ્વ ગુરુ બને તેવી વ્યાસપીઠ પર હું પ્રાર્થના કરું છું. આ પ્રસંગે ભાણદેવજી રચિત મહાભારત પુસ્તકનું પણ મુખ્યમંત્રી તેમજ મોરારીબાપુની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરારીબાપુએ આજે કથાના બીજા દિવસે જણાવ્યું હતું કે, હૃદય અને મનથી શુદ્ધ થવું હોય તો સાધુના શરણે જવું પડે.સામે સાધુએ પણ પોતાની પવિત્રતા જાળવી રાખી પ્રભુ ભક્તિનું ભજન કરવાનું મૂળ મૂલ્યને ચુકી ન જવું જોઈએ. સાધુનો.મૂળ મંત્ર ઈશ્વરનું ભજન કરવાનો છે. એટલે સાધુ શુદ્ધ ચારિત્ર્યવાન હશે તો સમાજ અને દેશની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં. લોકોના મનમાં પણ બીજા દુર્ગુણો પ્રવેશે અહીં એ માટે સત્ય પ્રેમ સેવા કરુણાને વળગી રહેવું જોઈએ, ગ્રીસમાં ભૂખ લાગી ત્યારે ઘેટાં ગાંજો ખાઈ ગયાની વાર્તાનું દ્રષ્ટાંત આપી લોકોને નશાથી દૂર રહેવાની સલાહ આપી હતી. તેમજ માનવ શરીરમાં પાંચ પ્રકારના પ્રાણ હોવાનું રામાયણનું ઉદાહરણ આપી રામનામ લેવાથી ભવ સાગર તરી જવાનું કહી ઘરના ઝઘડા બાબતે પણ ક્રોધથી દૂર રહી સદગુણ ભૂલવો જોઈએ નહીં અને ઝૂલતાપૂલની દુર્ઘટનાના દિવગતોના પરિવારોના ઘરે જઈ ભિક્ષા માંગવાનું કહ્યું હતું

.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/