પેટા ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને ભાજપ તરફથી મેદાનમાં ઉતરાય તેવો તખ્તો ગોઠવાતા ભાજપના સ્થાનિક નેતાઓ મુંઝવણમાં
મોરબી : મોરબીમાં ધારાસભ્ય તરીકે કોંગ્રેસના સિમ્બોલ પરથી ચૂંટાયેલા બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપી સૌને ચોંકાવી દીધા છે. બ્રિજેશ મેરજા પર પૈસાની સોદાબાજી સાથે પક્ષ પલટાના ગંભીર આક્ષેપો ખુદ કોંગ્રેસ કરી રહી છે. જ્યારે બ્રિજેશ મેરજાએ આ રાજીનામા માટે કોઈ સોદાબાજી કરી ન હોવાનું અને પ્રજાહિતમાં આ નિર્ણય લીધાનું રટણ કરી રહ્યા છે.
ત્યારે હાલ મોરબીમાં એક જ ચર્ચા થઈ રહી છે બ્રિજેશ મેરજાના રાજીનામા બાદ હવે શું થશે ? પેટા ચૂંટણીમાં કોણ ભાજપનું ઉમેદવાર હશે ? આ સવાલોના જવાબો મેળવતા આધારભૂત રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા પહેલા ભાજપ સાથે કરેલી ગોઠવણ મુજબ તેઓ રાજીનામુ આપ્યા બાદ આગામી સમયમાં હવે ભાજપમાં સત્તાવાર જોઈન થશે અને તેમના રાજીનામાથી આવનારી પેટા ચૂંટણીમાં તેઓ ભાજપના ધારાસભ્યના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉભા રેહશે.
જેના પગલે મોરબીના જુના ભાજપના આગેવાનો અને ધારાસભ્ય પદના પ્રબળ દાવેદારો હાલ અંદર ખાને મુંઝવણ અનુભવી રહ્યા છે. જોકે બ્રિજેશ મેરજાને આગામી પેટા ચૂંટણીમાં ભાજપની ટીકીટ આપવાની ગોઠવણ દિલ્હી ભાજપના હાઇકમાન્ડ દ્વારા કરવામાં આવી હોવાથી મોરબીના ભાજપ તરફથી ધારાસભ્ય પદના દાવેદારો દ્વારા ખુલ્લીને જાહેરમાં આ બાબતે વિરોધ કે અણગમો વ્યક્ત કરાય તેવી શકયતા નહિવત છે.
જ્યારે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉતર્યા ત્યારે પણ હળવદના સ્થાનિક ભાજપ આગેવાનોમાં અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ અંતે ભાજપના અનુશાસનના કારણે અસંતોષીઓની કારી ફાવી નહતી અને પરસોત્તમ સાબરીયા ભાજપના સિમ્બોલ પર વિજય થયા હતા. ત્યારે મોરબીમાં પણ હળવદ વળી થાય તેવી શકયતા રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સપ્ટેમ્બર મહિનામાં ધારાસભ્યની પેટા ચૂંટણી યોજાય શકે છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ બ્રિજેશ મેરજાનો ભાજપ પ્રવેશ અને ભાજપ તરફથી પેટા ચૂંટણીમાં ધારાસભ્ય પદની દાવેદારી ફાઇનલ છે. અને આ બાબતે સત્તાવાર જાહેરાત આગામી સમયમાં થાય તેવી શકયતા છે. જોકે આ તો સત્તા માટેનું રાજકારણ છે અહીં નક્કી થયેલા નિર્ણયો અને ગોઠવણ કે વચનોનું કોઈ ભવિષ્ય હોતું નથી. ગમે ત્યારે ગમે તે નિર્ણયો અને ગોઠવણો ફરી જતી હોય છે. ત્યારે મોરબીમાં બ્રિજેશ મેરજાના ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા બાદ આગામી પેટા ચૂંટણીમાં કેવા સમીકરણો સર્જાય છે તે તો આગામી સમય જ બતાવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
![](https://thepressofindia.com/wp-content/uploads/2022/08/Header-Add-2-scaled.jpg)